Monday, 30 April 2018

#ગમતો_શેર : ૭

#ગમતો_શેર :
           આ-સ્વાદ :~) મનન બુધ્ધદેવ

સિલ્વટેં હૈં મેરે ચહેરે પે, તો હૈરત ક્યું હો?
ઝિંદગી ને મુઝે કુછ તુમ સે ઝિયાદા પહના!
                                        - અહમદ ફરાઝ

'ફરાઝ'નો આ શેર જિંદગીની કેફિયત રજુ કરે છે.

મારા ચહેરા પરની કળચલીઓ જોઈને અચરજ શા માટે કરો છો!? 

જેમ વધારે પહેરાયેલાં વસ્ત્ર ચોળાય જાય એમ જિંદગી એ મને વધારે પહેર્યો છે!

જીઓ.... શાયર!

Sunday, 29 April 2018

#ગમતો_શેર : ૬

#ગમતો_શેર :
          આ-સ્વાદ :~) મનન બુધ્ધદેવ

અપની વજહે બરબાદી સુનિયે તો મઝે કી હૈ,
ઝિંદગી  સે  યૂં  ખેલે, જૈસે  દૂસરે  કી  હૈ !!
                                  - જાવેદ અખ્તર

પ્રખ્યાત ગીતકાર જાવેદ અખ્તર પોતાની જિંદગીનો હિસાબ જાણે આ શેરમાં માંડે છે. શાયર કહે છે કે, અમારી બરબાદીનું કારણ મજાનું છે.

કેટલાક લોકો બીજાની જિંદગીને બરબાદ કરવા જ સતત મથતાં હોય છે, એમને મન બીજાની જિંદગીની કોઈ કિંમત હોતી નથી. શાયર કહે છે, જેવું લોકો બીજાની સાથે કરે એવું અમે અમારી જિંદગી સાથે કર્યું છે.

પોતાની જ જિંદગી સાથે કોઈ મમત રાખ્યા વિના કેટલીક રમત જાત સાથે કરી છે. જિંદગી સાથે ખેલેલો ખેલ જ ખિલવાડનું કારણ છે! ને તોય શાયર એને મજાનું કહે છે!!

છે ને પોતાનાં જીવન વિશેનું  શાયરનું મજાનું સરવૈયું!

જીઓ... શાયર!

#ગમતો_શેર : ૫

#ગમતો_શેર :
           આ-સ્વાદ :~) મનન બુધ્ધદેવ

એણે એવું કીધું કે જાવ સુખની ચાવી શોધી લાવો,
ને હું તો એને શોધું છું કે સુખને તાળું કોણે માર્યું?

                                              - ભાવેશ ભટ્ટ

મુશાયરામાં આગવા મિજાજ માટે જેઓ ખૂબ લોકપ્રિય છે એવા શાયર ભાવેશ ભટ્ટનો આ શેર જિંદગીના રહસ્યને લોકભાષામાં અનલૉક કરે છે!

જેમ આપણા ઘરને આપણે તાળું મારીએ અને પછી ચાવી ખોવાઈ જાય તો શોધવી પડે તેમ સુખના ઘરને પહેલાં આપણે જ તાળું મારીએ છીએ ને પછી એની ચાવી શોધવાના ઠેર ઠેર ઉધામા કરીએ છીએ!!

આપણે સુખની શોધમાં આંખો મીંચીને એવાં તલ્લીન હોઈએ છીએ કે સુખ આંખ સામે હોય તોય દેખાતું નથી. સુખની શોધ ખુદની ખોજમાં જ છે!

છે ને સુખની ચાવી શોધવા માટેના આપણા કાવાદાવા પર કવિનો કડવો કટાક્ષ!

જીઓ... શાયર!

Tuesday, 17 April 2018

#ગમતો_શેર : ૪

#ગમતો_શેર :
             આ-સ્વાદ :~) મનન બુધ્ધદેવ

એકાદ જણે એકલા મહેફિલ ભરી હશે,
જો આપ ત્યાં પધારી શકો તો મળી શકું!

                                        - ધ્રુવ ભટ્ટ

જેમના સર્જનોમાં જીવનની ફિલસૂફી વણાયેલી હોય છે, એવાં પ્રખ્યાત લેખક અને ગીત કવિ ધ્રુવ ભટ્ટે ગઝલો પણ લખી છે. એમનો આ શેર ભીતરની યાત્રા રજુ કરે છે.

'મેલેમેં અકેલા' અને 'અકેલેમેં મેલા' જેવી જિંદગી જીવતાં મનુષ્યો ખુદને મળવામાં જ વ્યસ્ત હોય છે. એમન મન 'સ્વ'ની મહેફિલ વિશ્વની મહેફિલ કરતા વધુ અગત્યની હોય છે. આપણને આપણામાં ભળતાં આવડે તો આપણે આપણનેે મળી શકીએ.

છે ને ખુદમાં ખોવાઈ જવાની અદ્દભુત વાત!!

જીઓ.... શાયર!

Monday, 16 April 2018

‘તત્ત્વમસિ’ થી 'રેવા' : Being Manan !

તમે ગાયા આકાશભરી પ્રીતે. 
એ ગીત કહો મારા કહેવાય કઈ રીતે !

            ધ્રુવ ભટ્ટની આ પંક્તિઓ એમના સર્જનો પરના એમના નિસ્પૃહીભાવને  વ્યક્ત કરે છે. ધ્રુવદાદા એટલે એવા લેખક કે જેમની કથાઓમાંથી આપણને અવારનવાર પસાર થવાનું ગમે. એમનું પાત્રાલેખન, કથાશૈલી, વર્ણનશક્તિ અને જીવનવલણ વાચકોને વિચારતા કરી મુકે એવા હોય છે. સંશોધન કરતા શોધ, બહાર કરતા ભીતરની યાત્રા અને મનુષ્યજીવનમાં ધર્મ કરતા સંસ્કૃત્તિનો પ્રભાવ એ તેમના સર્જનોની લાક્ષણિકતા રહી છે. ધ્રુવદાદા એક અચ્છા કવિ પણ છે. એમના ગીતો હોઠે ચડે પછી ક્યારેય ભૂલાય નહી એવા હોય છે. (જોકે, એનો સ્વતંત્ર આસ્વાદ ફરી ક્યારેક :-) ) 

           આપણે એકવાર વાંચેલ પુસ્તકનો અર્થ એ ક્યા સમય અને સંજોગોમાં વાંચેલ છે એના પર નિર્ભર છે, કેમ કે એ જ પુસ્તક બીજીવાર વાંચવામાં આવે એટલે કોઈ નવો જ અર્થ, અલગ જ ભાવ અને નવો જ સંદર્ભ આપણને અનુભવાય! એકના એક પુસ્તકને બીજી વાર વાંચીએ એના કરતા બીજા સ્વરૂપે વાંચીએ એ ઘટના જ ‘નર્મદા’ ( નર્મ એટલે આનંદ અને દા એટલે આપનારી!) છે અને એ બંન્ને સ્વરૂપમાં નદી ‘નર્મદા’ કેન્દ્રમાં હોય એક સ્વરૂપ પુસ્તક અને બીજું ફિલ્મ હોય તો આપણા જેવાને તો ગોળનાં ગાડા! 

           આપને ખ્યાલ આવી ગયો હશે કે હું વાત કરું છે, ધ્રુવ ભટ્ટની નેશનલ એવોર્ડ વિજેતા નોવેલ ‘તત્ત્વમસિ’ અને તેના પરથી બનેલી ફિલ્મ ‘રેવા’ની. ગુજરાતી સાહિત્ય પરથી ગુજરાતી ફિલ્મો બહુ ઓછી બને. આ સાહસનું કામ છે. તાજેતરમાં મિત્ર રામ મોરીની વાર્તા પરથી આવેલી શોર્ટ ફિલ્મ ‘મહોતું’થી ઉભી થયેલું આશાનું કિરણ ફિલ્મ રેવાની રાહ જોવા માટેનું એક કારણ પણ હતું! પ્રસ્તુત છે આ ‘તત્ત્વમસિ’ થી/અને/અથવા ‘રેવા’નો આસ્વાદ !
(આ-સ્વાદ by મનન બુધ્ધદેવ, મોરબી 98798 73873)

          નર્મદા કાંઠે પડેલો, ઘણા દિવસથી ભૂખ્યો તરસ્યો, દાઢી વધેલો સંન્યાસી આંખો ખોલે અને સામે બાર-તેર વર્ષની કન્યા ‘લે, ખાઈ લે’ એવા સંવાદથી એ નાયકની મકાઈનો ડોડવો સામે ધરે અને દૃશ્ય વિલીન થઇ જાય, ને આપણે ભૂતકાળમાં સરી જઈએ. આ ફિલ્મ અને પુસ્તક બંનેની શરૂઆત અહીથી જ થાય. ફિલ્મ અને નવલકથા બંનેમાં નાયકનું નર્મદા કાંઠે આવવાનું કારણ જુદું જુદું છે, મૂળકથામાં (ફરજિયાત આવી પડેલ) સંશોધન માટે જયારે ફિલ્મમાં સંપત્તિ માટે, પણ કૈંક મેળવી લેવાની વૃત્તિ તો કોમન જ છે! 

           ધ્રુવ દાદાની દરેક નોવેલની લાક્ષણિકતા છે કે તેમાં નાયકનું કોઈ નામ હોતું જ નથી. ધ્રુવદાદાનો આશય કદાચ પોતાની જાત ને કે પછી વાચકને સમાનુભૂતીનો ભાવ થાય એવો હોય શકે. ફિલ્મનો નાયક ‘કરન’ (ચેતન ધાનાણી) ફિલ્મના ટાઈટલમાં આવે છે એમ – ‘અ જર્ની વિધીન’ કરતો ફિલ્મમાં જોવા મળે. વિદેશમાં ઉછેરેલો નાયક અને કરન બંનેને પોતાની મૂળ ભારતીયતા અંગે કોઈ ખાસ લગાવ નથી. ધર્મ, સંસ્કૃતિ અને પરંપરાઓનો ઉપહાસ કરતા પણ ક્યારેક જોવા મળે. નવલકથાની પ્રસ્તાવનામાં ધ્રુવ ભટ્ટ એક પ્રશ્ન મુકે છે, “અલગ ભાષા, જુદા રીતરીવાજો, જુદા ધર્મ અને બીજી અનેક ભિન્નતાઓ વચ્ચે પણ આ દેશની ભાતીગળ પ્રજામાં કંઇક છે જે દરેક માણસમાં સરખું જ જડે છે, તે શું છે ? આનો ઉત્તર મને કદીક, ક્યારેક મળશે...” ફિલ્મમાં આ વિચારને બિટવિન દ સીન્સ(!) રખાયો છે. 

          નવલકથામાં અને ફિલ્મમાં નર્મદા મૈયાને આપણી સાથે સતત વહેતા દર્શાવાયા છે. પુલ પરથી ટ્રેન પસાર થાય છે, ત્યારે ‘નર્મદા’ની એન્ટ્રી થાય છે. ‘નર્મદે હર’ના નાદથી ગુંજી ઉઠતી ટ્રેન આપણી આસ્થાનું પ્રતિક છે. નદીના પાણીમાં સિક્કો પધરાવતા માજીને નાયક (કરન) પૂછે છે, ‘નદી રક્ષા કરે કે ડુબાડે ?’ ને જવાબ મળે ‘એ તો જેવી જેની ભાવના!’ આ સંવાદ નાયકને ભારતીય સંસ્કૃતિ અને પરંપરા પ્રત્યે શંકા કરતો દર્શાવવા મુક્યો છે! તો નર્મદા પરિક્રમા કરતા પરિક્રમાવાસીઓ સાથે દલીલો કરતો નાયક આગળ જતા પોતે જ પરિક્રમા કરે છે. આ પ્રકારનો વિરોધાભાસ કૃતિને અને એ પાછળના વિચારને જસ્ટીફાય કરે છે. 

           મૂળ કથામાં રહેલી નાયિકા સુપ્રિયા (સુપરિયા)નું પાત્ર ભજવ્યું છે, મોનલ ગજ્જરે. ફિલ્મમાં દર્શાવેલ નર્મદા આશ્રમમાં તે સંયોજક છે. મૂળકથામાં આદિવાસી કલ્યાણ કેન્દ્ર ચલાવે છે. તેના વિશે નાયક પહેલા જુદી જ કલ્પના કરે છે પણ તેને રૂબરૂ મળીને તેના તરફ આકર્ષાય છે. મોનલ ગજ્જરે સરસ અભિનય કર્યો છે. આશ્રમમાં પોતાના માતાપિતાની સ્મૃતિઓ વચ્ચે રહે છે. ઘણા સમયથી બંધ પડેલ સંગીત જલસો તે ફરી શરૂ કરાવવા ઈચ્છે છે. નિસ્વાર્થ ભાવે આશ્રમની સેવા કરે છે. સુશિક્ષિત છે. મહાભારત વાંચે છે. સારું ગાય છે. ફિલ્મમાં તેનું ડ્રેસિંગ તેના વ્યક્તિત્વને વધુ નીખાર આપે છે. તેણી લાગણીશીલ છે, તેની સાથે કરન છળ કરે છે, તે તેણી સહન કરી શકતી નથી. તેના હદયમાં આદિવાસીઓ અને તેમની પરંપરા પ્રત્યે અપાર પ્રેમ છે. 

           ફિલ્મમાં મૂળકથાનાં બીજા કેટલાક પાત્રો ગુપ્તાજી, શાસ્ત્રીજી, પુરિયા, બિત્તુબંગા, ટેમ્પુડીયો, ગંડુ ફકીર વગેરેએ સરસ કામ કર્યું છે, તો લ્યુસી, તુષાર, જીમી સહિતના કેટલાક પાત્રો ફિલ્મમાં સ્થાન પામ્યા નથી. શાસ્ત્રીજીના પાત્ર દ્વારા ધ્રુવ દાદાએ પોતાની વાત કહી હોય એવું નવલકથા વાંચીને લાગેલું અને ફિલ્મમાં પણ શાસ્ત્રીજીનું પાત્ર એકદમ પરિપક્વતાપૂર્ણ છે. ‘ધર્મમાં શ્રદ્ધા ન હોય તો ચાલે પણ શ્રદ્ધા હોવી જોઈએ.’ ‘લોકો પરિક્રમાવાસીઓની નહિ પરિક્રમાની પરંપરાની સેવા કરે છે.’ ‘આપણે ઈશ્વરના ભક્તો છીએ, ધર્મના નહિ’ જેવા કેટલાક વનલાઈનર્સ એમના પાત્રને ઉંચાઈ આપે છે, તો તબલા વગાડતા શાસ્ત્રીજી ધર્મને વિજ્ઞાન સાથે જોડી દેતા પણ દેખાય ! 

            ફિલ્મનું બીજું એક પાત્ર છે, પુરિયા! તે આશ્રમવાસી છે, તેને બાળકો ખુબ જ ગમે છે. તે ફિલ્મમાં કરનને મળતું આશ્રમનું પ્રથમ પાત્ર છે. ફિલ્મમાં તેની એન્ટ્રી એક ગીત સાથે થાય છે. ‘કાળો ભમ્મરિયાળો જામો, પહેરાવો કાળા કા’નને!’ આ ગીત કર્ણપ્રિય છે, ને માર્મિક પણ છે. ફિલ્મમાં પુરિયાને તેનો પતિ સંતાન ન આપી શકવાને કારણે ‘બાંઝ’ કહીને કાઢી મુકે છે ને એ જ પુરિયા બાળકૃષ્ણનું કીર્તન કરે !! એ જ પુરિયા પર તેના ભાઈના સંતાનને મારી નાખવાનું આળ આવે!! ધ્રુવદાદા ઉપરાંત ડાયરેક્ટરને પણ આ સિચ્યુએશન પાછળના સિમ્બોલીઝ્મ માટે ફૂલ માર્ક્સ આપવા પડે. (આ ગીત અંગેનું આ સુક્ષ્મ અવલોકન મારા શ્રીમતીજી તૃપ્તિ બુધ્ધદેવને આભારી છે.) 

         મૂળ કથામાં અને ફિલ્મમાં કેટલાક ફેરફાર પણ જોવા મળે છે. જેમ કે નર્મદા મૈયાની સાડી ઓઢાડવાનો સીન ફિલ્મમાં અદ્ભુત રીતે સમાવાયો છે. વાઘના હુમલાથી બિત્તુબંગામાંથી એકનાં મૃત્યુ બાદ તેની સાથે બદલો લેવાની ઘટના ફિલ્માં લેવામાં નથી આવી, તેને બદલે સંગીત દ્વારા ભાવ વિરેચન મુકાયું છે. રાણીની ગુફા વિશે પણ અલગ દૃષ્ટિકોણ મુક્યો છે, તો નાયકના માતા પિતા અંગેનો સબપ્લોટ ફિલ્મને વધુ કન્ક્લુસિવ બનાવે છે. 

        નર્મદાની પરિક્રમામાં કરવાનું નક્કી કરનાર નાયક સંશોધકમાંથી જીવન રહસ્ય શોધક બની રહે છે. સૃષ્ટિનું કોઈ ચાલકબળ છે, તે મનુષ્યની ભીતર રહેલો ઈશ્વર છે, ‘તે તું જ છે – તત્ત્વમસિ’ આ વિચાર ભારતીય સંસ્કૃતિના પાયામાં રહેલો છે. ફિલ્મમાં ધ્રુવ ભટ્ટનાં વિચારોનું ઉર્ધ્વીકરણ પણ દર્શાવ્યું છે. પોતાની સંપત્તિ મેળવવા આવેલો નાયક બધું ત્યાગી આશ્રમવાસી બની જાય છે અને તમામ સંપત્તિ આશ્રમને આપી દ્યે છે, તો ‘આ જીવનનું રહસ્ય જાણી લીધા પછી સમાજની વચ્ચે રહી કર્મો કરતા રહેવું જોઈએ’ એવો સંદેશ પણ ફિલ્મ આપણને આપી જાય છે. 

         ધ્રુવદાદાએ આ મૂળકથાનું નામ પહેલા ‘પ્રતિગચ્છતિ’ વિચારેલું. ‘ઈશ્વર એક જ છે, ભલે કોઈપણને ભજો’- એવા અર્થમાં હોવાથી મનુભાઈ પંચોળી ‘દર્શક’એ આ નામ મૂળ વિચારને ન્યાય નથી કરતું એમ કહ્યું અને પછી ધ્રુવ ભટ્ટના મિત્ર મહેન્દ્ર ચોટલીયા તથા અન્ય મિત્રોએ ભેગા થઇને નામ અપાયું ‘તત્ત્વમસિ’. 

            એક સમયે દેવદાસ ફિલ્મનાં લેખકે ‘સમુદ્રાન્તિકે’ પુસ્તક પરથી લખેલી ફિલ્મસ્ક્રિપ્ટ રીજેક્ટ કરનાર ઘ્રુવ ભટ્ટે પણ આ ફિલ્મના સર્જકોને ઘણી છૂટ આપી છે, જે સર્જકોની આ કામ કરવા પાછળની મહેનતનું સૂચક છે. 

            આમ, તત્ત્વમસિથી રેવા સુધીની યાત્રા ‘સ્વ’ની શોધયાત્રા બની રહે છે, પુસ્તક અને ફિલ્મ બંનેનાં અંતે આપણે નર્મદા મૈયાની પરિક્રમા કરી હોય એવું અનુભવી શકાય છે. મરાઠી કે બંગાળી ભાષામાં બનતી ફિલ્મોના વખાણ કરતા આપણે આપણી માતૃભાષાની અમર સાહિત્યકૃતિ પરથી બનેલી આ ફિલ્મને વધાવવી જોઈએ. ‘ગુજરાતી ફિલ્મ જગત પોતાના કલેવર બદલી રહ્યું છે’- આ ફિલ્મ ‘રેવા’ એનો તાજેતાજો પુરાવો છે. 

#ગમતો_શેર
મારામાં આરપાર સાત સાત દરિયા ને દરિયામાં આરપાર તું, 
પળમાં પળ ગુંથીને તું વારતા વણે ને એને જીવતરનું નામ દઉં હું! 
- ધ્રુવ ભટ્ટ

Sunday, 15 April 2018

#ગમતો_શેર : ૩

#ગમતો_શેર :
            આ-સ્વાદ :~) મનન બુધ્ધદેવ

કો’ક દિ’ એકાંતમાં ખપ લાગશે,
લાવ મારી યાદ વળગાડું તને.
                          - ખલીલ ધનતેજવી

પહાડી અવાજના માલિક ખલીલ ધનતેજવીની શાયરીમાં લાગણીઓ ભારોભાર ભરેલી હોય છે. પ્રિયજનની સ્મૃતિઓ જ પ્રિયજનને કાયમ પ્રિયજન રાખે છે. અંગત સાથેની સંગતની રંગતને યાદોથી અંકિત કરવાની હોય છે.

મનુષ્યને અંદરથી કોરી ખાનાર કોઈ હોય તો તે એકાંત છે. જીવનમાં રોજ કેટલીયે ઘટનાઓ બને છે એ બધી યાદો બની નથી જતી. કેટલીક જ યાદો હોય છે, જે કાળાંતર સુધી ટકતી હોય છે.

પ્રિયજનને યાદોને આપવાની નથી, વળગાડવાની છે, જેથી તે ક્યારેક વિસરાય જ નહીં ને સાચવી રાખેલ મૂડીની જેમ એકાંતમાં ખપ લાગે, કામમાં આવે!

છે ને પ્રિયજનના એકાંત વિશેની કવિની ચિંતા અને એનું અનોખું સમાધાન!


જીઓ..... શાયર!

#ગમતો_શેર : ૨

#ગમતો_શેર :
         આ-સ્વાદ :~) મનન બુધ્ધદેવ

આજ વરસાદ નથી એમ ના કહેવાય, રમેશ,
એમ કહીએ કે હશે, આપણે ભીના ન થયા.

                                              - રમેશ પારેખ

'છ અક્ષરનું નામ'વાળા રમેશ પારેખ જીવનની હકારાત્મકતાને શેરમાં ભેળવે છે. વરસાદ આવે ને માણસ બહારથી ભીંજાય પણ અંદરથી કોરો રહી જાય તો એમાં વરસાદનો શું વાંક!? આપણે આવરણોનો રેઇનકોટ કાઢીએ નહીં એમાં વરસાદ શું કરે!?

જિંદગી માણસને તરબતર કરવા તત્પર જ હોય છે, પણ આપણી ભીંજાવાની તૈયારી હોવી જોઈએ.

સંબંધોમાં ભીંજાવું કે ન ભીંજાવું એ આપણા હાથની વાત છે. કેટલાકને એકાદો વરસાદેય કાયમ ભીંજવેલા રાખે, તો કેટલાક ચોમાસે ચોમાસે કોરાં જ રહી જતાં હોય છે!

વરસાદ તો ભીંજવવા જ વરસતો હોય છે, ભીંજાવા માટે આપણું જીવંતપણું જરૂરી છે!

છે ને ભીંજવી નાખે એવી વાત...!


જીઓ.... શાયર!

યે ઝીંદગી યાદો કી ગુલ્લક સી......

            જિંદગી એટલે પળેપળમાં જીવાતી યાદોની ખુશ્બુભરી સ્મૃતિ..... જીવાયેલું જીવન હંમેશા મીઠી યાદોમાં સમાયેલું રહે છે..... કોઈ ગુલ્લક જે...