Monday, 25 June 2018

#ગમતો_શેર : ૧૦

#ગમતો_શેર :
     આ-સ્વાદ :~) મનન બુધ્ધદેવ

જગત જ્યારે જ્યારે કનડતું રહે છે,
મને કૈંક મારામાં જડતું રહે છે!
               - ડૉ. વિવેક મનહર ટેલર

નવી પેઢીના ગઝલકારોની કલમે ગુજરાતી ગઝલ કેવી ફૂલીફાલી રહી છે, એ કવિ વિવેક ટેલરના આ શેર પરથી કળાય છે. જેમનું ગીત મહારાષ્ટ્ર રાજ્યના ધોરણ દસના પાઠ્યપુસ્તકમાં સમાવાયું છે, એવા કવિ વિવેક ટેલર 'લયસ્તરો.કોમ'નું સંચાલન પણ કરે છે.

આ શેરમાં કવિની દુનિયાદારીની દૃષ્ટિ દેખાઈ છે. જગતની કનડવાની આદત શાશ્વત છે. ઈતિહાસમાં ડોકિયું કરીએ, તો એવો કોઈ વ્યક્તિ નહીં હોય, જેને જગતે દુઃખ કે પીડા ન આપી હોય. અહીં કોને તકલીફ નથી. જગત પ્રત્યે દરેકને પોતાના આગવા અણગમાઓ અને આગવી ફરિયાદો તો હોવાની જ.

જેમ છાશને વલોવવાથી માખણ મળી આવે, એમ માણસને વલોપાતથી વિશ્વાસ મળી રહેતો હોય છે! એ વિશ્વાસ જાત પરનો! કહ્યું છે ને, કે ઘસાઈને ઉજળા થવાય. કવિ કહે છે, કે જે ક્ષણે મને કંઈ ગમ પડે છે, ત્યારે જીવનમાં નવી ગતાગમ પણ પડે છે! પીસાવામાં પણ કૈંક પાસે આવતું હોય જ છે! પણ આ બધું સભાનપણે ઓળખવું પડે. નિષ્ફળતાય શીખવે છે કે, કેમ નિષ્ફળ ન થવું!

છે ને કવિ વિવેકની જીવન વિશેની વૈચારિક વિવેકબુદ્ધિ!

જીઓ... શાયર! ❤

No comments:

Post a Comment

યે ઝીંદગી યાદો કી ગુલ્લક સી......

            જિંદગી એટલે પળેપળમાં જીવાતી યાદોની ખુશ્બુભરી સ્મૃતિ..... જીવાયેલું જીવન હંમેશા મીઠી યાદોમાં સમાયેલું રહે છે..... કોઈ ગુલ્લક જે...