Showing posts with label AASVAAD. Show all posts
Showing posts with label AASVAAD. Show all posts

Wednesday, 11 August 2021

યે ઝીંદગી યાદો કી ગુલ્લક સી......

 

        જિંદગી એટલે પળેપળમાં જીવાતી યાદોની ખુશ્બુભરી સ્મૃતિ..... જીવાયેલું જીવન હંમેશા મીઠી યાદોમાં સમાયેલું રહે છે..... કોઈ ગુલ્લક જેવું હોય જાણે..... ગલ્લો શબ્દ જ કેવો સ્મૃતિવેધક છે ! – હિન્દીમાં આ ગલ્લો એ ગુલ્લક... માટીના મટીરીયલનો મોજ આપતો મિત્ર... બચપણના એ જુના ઘરના આપણા ગમતાં ખૂણામાં પડેલી આપણી જાહોજલાલી એ જ ગુલ્લક... આ ગુલ્લક એક રૂપક છે જિંદગીનું.... એક વેબસીરીઝ હમણાં જોઈ ‘ગુલ્લક’... કોઈ જ શોરબકોર કે ફ્લોવાળી વાર્તા વિના માત્ર પ્રસંગો! એક સીઝનના પાંચ એપિસોડ જાણે આપણા જ કિસ્સા હોય એવું લાગ્યું ! આ ગુલ્લક સીરીઝે ખુબ હસાવ્યો, એવો જ રડાવ્યો અને લઇ ગઈ મને મારા જીવાયેલા જીવનની પળોના ગુલ્લકમાં.....

સુગંધી સ્પર્શ, સંવાદો, ટીખળ ધમાલ રાખે છે;

સ્મરણ નામનો ગુલ્લક જણસ કમાલ રાખે છે!

-અંજના ભાવસાર ‘અંજુ’

સ્મરણો એ જ જીવનની કમાણી છે!- ને એ જેમ જુના થાય એમ વાગોળવા વધુ ગમે! મેં એક પ્રયોગ કરી જોયો છે. કોઈ વૃદ્ધ (કે વૃદ્ધા)ને તેમના ભૂતકાળની વાતોમાં લઇ જાઓ ત્યારે આંખોમાં એક અલગ જ ચમક આવી જતી હોય છે. કેટકેટલાં સ્મરણો સાચવીને બેઠેલો માનવી જ્યારે એક એક પડળ ખોલી પોતાની વાતો વાગોળે છે ત્યારે પોતાનો ગરાસ લુંટાવવાની મજા લેતો હોય છે! – આ ગરવા ગરાસને યાદોમાં સાચવવાની અને લુંટાવવાનીય એક પોતીકી મજા હોય છે!

‘કંઈ કેટલો ખજાનો અણમોલ એમાં મળશે,

મનશા ભરેલું મનનું ગુલ્લક કદી જો ફૂટે!’

-ડૉ. સુજ્ઞેષ પરમાર

ગુલ્લક જગતની એકમાત્ર એવી વસ્તુ છે જે તૂટી-ફૂટી જાય તોય આનંદ આપે છે! – એવું જ યાદોની ગુલ્લકનું છે! એમાંથી જેવી કોઈ સંપત્તિ બહાર નીકળે એ આપણને કેવી ઊર્જા આપી દે ! જિંદગી કોઈ સ્પર્ધા નથી કે વધુ યાદો વધુ સ્મૃતિઓ ભેગી કરવા વધુ જીવવું પડે ! યાદોના ગુલ્લકમાં એવું જ સચવાતું હોય છે જેમાં આપણું સર્વસ્વ હોય ! જીવન એ સ્મૃતિઓ શોધવાની જગ્યા નથી, એ તો સ્મૃતિઓ સર્જવાની જગ્યા છે !

‘જિંદગીની સારી ઘટનાઓ સદા મનમાં રહે;

આવી યાદો સંગ્રહી લેવા નવું ગુલ્લક મળે!’

-યોગેન્દુ જોષી

 બાળપણમાં કરેલ તોફાન મસ્તી હોય કે જુના ઘરના ખૂણામાં બેસીને પરીક્ષા માટે રાતભર વાંચીને કરેલ તૈયારી, શેરીમિત્રોની ટોળકીએ સાથે ઉજવેલ ઉત્સવ હોય કે બાએ જાતે બનાવેલ કોઈ વાનગી! મહેમાન આવે ત્યારે ઘરમાં થતી તૈયારી હોય કે પરિવાર સાથે બેસીને થતી શેકેલી મગફળી કે મકાઈ ખાવાની લિજ્જત! શાળાએ ન જવા માટે વિચારાતા નવા નવા બહાના હોય કે ઓછી ખિસ્સા ખર્ચીમાંય ઝાઝી મજા કરી શકવાની આવડત! ઘરમાં કોઈ નવી વસ્તુ લેવા માટે થતું દિવસો સુધી ચાલતું પ્લાનિંગ હોય કે પરિવાર તરફથી અચાનક જ મળતું સરપ્રાઈઝ!! કમાણીનો પહેલો પગાર ‘મા’ના હાથમાં મુકવાનો આનંદ હોય કે ગમતું સ્વજન ગુમાવ્યાનો શોક! ક્યારેય નાનું ન લાગે એવું ઘર હોય કે મોટા થયાં પછી જેને અગવડ કહેવાય તેવી ખબર પડી હોય એવી સગવડો – આપણું મન આવું તો કેટલુંય અમુલ્ય સાચવીને બેઠું હોય છે. જિંદગી આવી સ્મૃતિઓથી જ જીવવા જેવી બનતી હોય છે!

‘ગુલ્લક’ વેબસીરીઝમાં આવતા ગીતના શબ્દો અને સંગીત ખૂબ જચે એવા સર્જાયા છે!

जब ज़िंदगी यादों की गुल्लक थी

गुल्लक थी, गुल्लक थी

ये ज़िंदगी यादों की गुल्लक थी

गुल्लक थी, गुल्लक थी

 

कभी अक्कड़ थी, कभी बक्कड़ थी

कभी टेढ़ी थी, कभी मेढ़ी थी

थोड़ी अकड़ी थी, थोड़ी जकड़ी थी

पर लपक के हमने पकड़ी थी

 

थोड़ी गीली थी, थोड़ी dry थी

कभी low सी थी, कभी high थी

घुल जाए तो इलायची

घिस जाती तो अदरक थी

 

बाबू-लल्ला, हल्ला-गुल्ला

चैं-चैं, पौं-पौं हो गईल ईह मुहल्ला

बाबू-लल्ला, हल्ला-गुल्ला

चैं-चैं, पौं-पौं हो गईल ईह मुहल्ला

 

हाँ, ऊनी गेंदों सी, फटी जेबों सी

छँटे कोहरे सी, बासी तहरी सी

ऊनी गेंदों सी, फटी जेबों सी

छँटे कोहरे सी, बासी तहरी सी

 

बातों की दातुन से चलती

Unlimited WiFi थी

फ़ुरसत का petrol पड़ा के

Slowly, slowly भगाई थी

 

हम सब के हिस्से आई थी

हम सब ने गले लगाई थी

एक चम्मच थी, पर too much थी

 

जब ज़िंदगी यादों की गुल्लक थी

गुल्लक थी, गुल्लक थी

जब ज़िंदगी यादों की गुल्लक थी

गुल्लक थी, गुल्लक थी

-     દુર્ગેશ સિંઘ, સીમરન હોરા

         આ લીંક પર આપેલ ટાઈટલ ટ્રેક અને છેલ્લે 18:40 એ આવતું યાદો કી ગુલ્લક સોંગ તમને ગમશે જ એવી ખાતરી છે. CLICK HERE TO LISTEN JUKEBOX

:: ગમતો_શેર ::

        ગુલ્લક ભરચક થઇ જાવાનું,

        શ્વાસ મળ્યાં એ ખરચી નાખો !

-     જિગર ફરાદીવાલા

       

Monday, 25 June 2018

#ગમતો_શેર : ૧૧

#ગમતો_શેર :
     આ-સ્વાદ :~) મનન બુધ્ધદેવ
     ‎
गुफ़्तगू उनसे रोज़ होती है,
मुद्दतों सामना नहीं होता |
                      - બશીર બદ્ર

વર્તમાન ઉર્દુ શાયરોમાં બશીર બદ્ર ગઝલની પરંપરામાં રહીને પોતાની પ્રયોગાત્મકતા કેળવવા માટે જાણીતા છે. એમની ગઝલોમાં હંમેશા શબ્દો અને કલ્પનોનું નવોન્મેષણ થતું હોય છે!

આ શેરમાં શાયરે કરેલી વાત દાદ માગી લે એવી છે. કોઈની સાથે ગુફ્તગૂ (હળવા અવાજમાં થતી અંગત વાતો) તો કાયમ થાય છે. પહેલાંના સમયમાં પ્રિયત્તમાની તસવીર સાથેય વાતો કરતાં, અરે! તસવીરોય વાતો કરતી એવું લાગતું. પ્રેમીઓ છુપી છુપીને મળતાં પણ ખુલ્લેઆમ ન મળી શકતાં. સામસામે એકબીજાની આંખમાં આંખ પરોવીને સામનો નથી થતો. શાયર કહે છે, એ ઘટનાને કેટલો સમય થયો જયારે રૂબરૂ મળ્યાં હોય!

બશીરજીએ આ શેર લખ્યો ત્યારનો સંદર્ભ કૈંક એવો હશે. હાલમાં પણ આ શેર કેવો લાગુ પડે!! વ્હોટ્સએપ કે મેસેન્જરમાં ગુફ્તગૂ તો અવારનવાર હોય પણ છડેચોક કોઈને મળી શકાય એવું શક્ય બને છે ખરું!! એવું પણ કહી શકાય કે, કોઈને મળવાનો કોઈને સમય જ નથી.

આપણે ઈનલાઈન નથી રહી શકતાં, એટલે ઓનલાઈન રહેવાતું હોય છે!

છે ને એક શેરની સમયાનુસારની પ્રસ્તુતતા!

જીઓ... શાયર ❤

Sunday, 29 April 2018

#ગમતો_શેર : ૬

#ગમતો_શેર :
          આ-સ્વાદ :~) મનન બુધ્ધદેવ

અપની વજહે બરબાદી સુનિયે તો મઝે કી હૈ,
ઝિંદગી  સે  યૂં  ખેલે, જૈસે  દૂસરે  કી  હૈ !!
                                  - જાવેદ અખ્તર

પ્રખ્યાત ગીતકાર જાવેદ અખ્તર પોતાની જિંદગીનો હિસાબ જાણે આ શેરમાં માંડે છે. શાયર કહે છે કે, અમારી બરબાદીનું કારણ મજાનું છે.

કેટલાક લોકો બીજાની જિંદગીને બરબાદ કરવા જ સતત મથતાં હોય છે, એમને મન બીજાની જિંદગીની કોઈ કિંમત હોતી નથી. શાયર કહે છે, જેવું લોકો બીજાની સાથે કરે એવું અમે અમારી જિંદગી સાથે કર્યું છે.

પોતાની જ જિંદગી સાથે કોઈ મમત રાખ્યા વિના કેટલીક રમત જાત સાથે કરી છે. જિંદગી સાથે ખેલેલો ખેલ જ ખિલવાડનું કારણ છે! ને તોય શાયર એને મજાનું કહે છે!!

છે ને પોતાનાં જીવન વિશેનું  શાયરનું મજાનું સરવૈયું!

જીઓ... શાયર!

#ગમતો_શેર : ૫

#ગમતો_શેર :
           આ-સ્વાદ :~) મનન બુધ્ધદેવ

એણે એવું કીધું કે જાવ સુખની ચાવી શોધી લાવો,
ને હું તો એને શોધું છું કે સુખને તાળું કોણે માર્યું?

                                              - ભાવેશ ભટ્ટ

મુશાયરામાં આગવા મિજાજ માટે જેઓ ખૂબ લોકપ્રિય છે એવા શાયર ભાવેશ ભટ્ટનો આ શેર જિંદગીના રહસ્યને લોકભાષામાં અનલૉક કરે છે!

જેમ આપણા ઘરને આપણે તાળું મારીએ અને પછી ચાવી ખોવાઈ જાય તો શોધવી પડે તેમ સુખના ઘરને પહેલાં આપણે જ તાળું મારીએ છીએ ને પછી એની ચાવી શોધવાના ઠેર ઠેર ઉધામા કરીએ છીએ!!

આપણે સુખની શોધમાં આંખો મીંચીને એવાં તલ્લીન હોઈએ છીએ કે સુખ આંખ સામે હોય તોય દેખાતું નથી. સુખની શોધ ખુદની ખોજમાં જ છે!

છે ને સુખની ચાવી શોધવા માટેના આપણા કાવાદાવા પર કવિનો કડવો કટાક્ષ!

જીઓ... શાયર!

Tuesday, 17 April 2018

#ગમતો_શેર : ૪

#ગમતો_શેર :
             આ-સ્વાદ :~) મનન બુધ્ધદેવ

એકાદ જણે એકલા મહેફિલ ભરી હશે,
જો આપ ત્યાં પધારી શકો તો મળી શકું!

                                        - ધ્રુવ ભટ્ટ

જેમના સર્જનોમાં જીવનની ફિલસૂફી વણાયેલી હોય છે, એવાં પ્રખ્યાત લેખક અને ગીત કવિ ધ્રુવ ભટ્ટે ગઝલો પણ લખી છે. એમનો આ શેર ભીતરની યાત્રા રજુ કરે છે.

'મેલેમેં અકેલા' અને 'અકેલેમેં મેલા' જેવી જિંદગી જીવતાં મનુષ્યો ખુદને મળવામાં જ વ્યસ્ત હોય છે. એમન મન 'સ્વ'ની મહેફિલ વિશ્વની મહેફિલ કરતા વધુ અગત્યની હોય છે. આપણને આપણામાં ભળતાં આવડે તો આપણે આપણનેે મળી શકીએ.

છે ને ખુદમાં ખોવાઈ જવાની અદ્દભુત વાત!!

જીઓ.... શાયર!

Monday, 16 April 2018

‘તત્ત્વમસિ’ થી 'રેવા' : Being Manan !

તમે ગાયા આકાશભરી પ્રીતે. 
એ ગીત કહો મારા કહેવાય કઈ રીતે !

            ધ્રુવ ભટ્ટની આ પંક્તિઓ એમના સર્જનો પરના એમના નિસ્પૃહીભાવને  વ્યક્ત કરે છે. ધ્રુવદાદા એટલે એવા લેખક કે જેમની કથાઓમાંથી આપણને અવારનવાર પસાર થવાનું ગમે. એમનું પાત્રાલેખન, કથાશૈલી, વર્ણનશક્તિ અને જીવનવલણ વાચકોને વિચારતા કરી મુકે એવા હોય છે. સંશોધન કરતા શોધ, બહાર કરતા ભીતરની યાત્રા અને મનુષ્યજીવનમાં ધર્મ કરતા સંસ્કૃત્તિનો પ્રભાવ એ તેમના સર્જનોની લાક્ષણિકતા રહી છે. ધ્રુવદાદા એક અચ્છા કવિ પણ છે. એમના ગીતો હોઠે ચડે પછી ક્યારેય ભૂલાય નહી એવા હોય છે. (જોકે, એનો સ્વતંત્ર આસ્વાદ ફરી ક્યારેક :-) ) 

           આપણે એકવાર વાંચેલ પુસ્તકનો અર્થ એ ક્યા સમય અને સંજોગોમાં વાંચેલ છે એના પર નિર્ભર છે, કેમ કે એ જ પુસ્તક બીજીવાર વાંચવામાં આવે એટલે કોઈ નવો જ અર્થ, અલગ જ ભાવ અને નવો જ સંદર્ભ આપણને અનુભવાય! એકના એક પુસ્તકને બીજી વાર વાંચીએ એના કરતા બીજા સ્વરૂપે વાંચીએ એ ઘટના જ ‘નર્મદા’ ( નર્મ એટલે આનંદ અને દા એટલે આપનારી!) છે અને એ બંન્ને સ્વરૂપમાં નદી ‘નર્મદા’ કેન્દ્રમાં હોય એક સ્વરૂપ પુસ્તક અને બીજું ફિલ્મ હોય તો આપણા જેવાને તો ગોળનાં ગાડા! 

           આપને ખ્યાલ આવી ગયો હશે કે હું વાત કરું છે, ધ્રુવ ભટ્ટની નેશનલ એવોર્ડ વિજેતા નોવેલ ‘તત્ત્વમસિ’ અને તેના પરથી બનેલી ફિલ્મ ‘રેવા’ની. ગુજરાતી સાહિત્ય પરથી ગુજરાતી ફિલ્મો બહુ ઓછી બને. આ સાહસનું કામ છે. તાજેતરમાં મિત્ર રામ મોરીની વાર્તા પરથી આવેલી શોર્ટ ફિલ્મ ‘મહોતું’થી ઉભી થયેલું આશાનું કિરણ ફિલ્મ રેવાની રાહ જોવા માટેનું એક કારણ પણ હતું! પ્રસ્તુત છે આ ‘તત્ત્વમસિ’ થી/અને/અથવા ‘રેવા’નો આસ્વાદ !
(આ-સ્વાદ by મનન બુધ્ધદેવ, મોરબી 98798 73873)

          નર્મદા કાંઠે પડેલો, ઘણા દિવસથી ભૂખ્યો તરસ્યો, દાઢી વધેલો સંન્યાસી આંખો ખોલે અને સામે બાર-તેર વર્ષની કન્યા ‘લે, ખાઈ લે’ એવા સંવાદથી એ નાયકની મકાઈનો ડોડવો સામે ધરે અને દૃશ્ય વિલીન થઇ જાય, ને આપણે ભૂતકાળમાં સરી જઈએ. આ ફિલ્મ અને પુસ્તક બંનેની શરૂઆત અહીથી જ થાય. ફિલ્મ અને નવલકથા બંનેમાં નાયકનું નર્મદા કાંઠે આવવાનું કારણ જુદું જુદું છે, મૂળકથામાં (ફરજિયાત આવી પડેલ) સંશોધન માટે જયારે ફિલ્મમાં સંપત્તિ માટે, પણ કૈંક મેળવી લેવાની વૃત્તિ તો કોમન જ છે! 

           ધ્રુવ દાદાની દરેક નોવેલની લાક્ષણિકતા છે કે તેમાં નાયકનું કોઈ નામ હોતું જ નથી. ધ્રુવદાદાનો આશય કદાચ પોતાની જાત ને કે પછી વાચકને સમાનુભૂતીનો ભાવ થાય એવો હોય શકે. ફિલ્મનો નાયક ‘કરન’ (ચેતન ધાનાણી) ફિલ્મના ટાઈટલમાં આવે છે એમ – ‘અ જર્ની વિધીન’ કરતો ફિલ્મમાં જોવા મળે. વિદેશમાં ઉછેરેલો નાયક અને કરન બંનેને પોતાની મૂળ ભારતીયતા અંગે કોઈ ખાસ લગાવ નથી. ધર્મ, સંસ્કૃતિ અને પરંપરાઓનો ઉપહાસ કરતા પણ ક્યારેક જોવા મળે. નવલકથાની પ્રસ્તાવનામાં ધ્રુવ ભટ્ટ એક પ્રશ્ન મુકે છે, “અલગ ભાષા, જુદા રીતરીવાજો, જુદા ધર્મ અને બીજી અનેક ભિન્નતાઓ વચ્ચે પણ આ દેશની ભાતીગળ પ્રજામાં કંઇક છે જે દરેક માણસમાં સરખું જ જડે છે, તે શું છે ? આનો ઉત્તર મને કદીક, ક્યારેક મળશે...” ફિલ્મમાં આ વિચારને બિટવિન દ સીન્સ(!) રખાયો છે. 

          નવલકથામાં અને ફિલ્મમાં નર્મદા મૈયાને આપણી સાથે સતત વહેતા દર્શાવાયા છે. પુલ પરથી ટ્રેન પસાર થાય છે, ત્યારે ‘નર્મદા’ની એન્ટ્રી થાય છે. ‘નર્મદે હર’ના નાદથી ગુંજી ઉઠતી ટ્રેન આપણી આસ્થાનું પ્રતિક છે. નદીના પાણીમાં સિક્કો પધરાવતા માજીને નાયક (કરન) પૂછે છે, ‘નદી રક્ષા કરે કે ડુબાડે ?’ ને જવાબ મળે ‘એ તો જેવી જેની ભાવના!’ આ સંવાદ નાયકને ભારતીય સંસ્કૃતિ અને પરંપરા પ્રત્યે શંકા કરતો દર્શાવવા મુક્યો છે! તો નર્મદા પરિક્રમા કરતા પરિક્રમાવાસીઓ સાથે દલીલો કરતો નાયક આગળ જતા પોતે જ પરિક્રમા કરે છે. આ પ્રકારનો વિરોધાભાસ કૃતિને અને એ પાછળના વિચારને જસ્ટીફાય કરે છે. 

           મૂળ કથામાં રહેલી નાયિકા સુપ્રિયા (સુપરિયા)નું પાત્ર ભજવ્યું છે, મોનલ ગજ્જરે. ફિલ્મમાં દર્શાવેલ નર્મદા આશ્રમમાં તે સંયોજક છે. મૂળકથામાં આદિવાસી કલ્યાણ કેન્દ્ર ચલાવે છે. તેના વિશે નાયક પહેલા જુદી જ કલ્પના કરે છે પણ તેને રૂબરૂ મળીને તેના તરફ આકર્ષાય છે. મોનલ ગજ્જરે સરસ અભિનય કર્યો છે. આશ્રમમાં પોતાના માતાપિતાની સ્મૃતિઓ વચ્ચે રહે છે. ઘણા સમયથી બંધ પડેલ સંગીત જલસો તે ફરી શરૂ કરાવવા ઈચ્છે છે. નિસ્વાર્થ ભાવે આશ્રમની સેવા કરે છે. સુશિક્ષિત છે. મહાભારત વાંચે છે. સારું ગાય છે. ફિલ્મમાં તેનું ડ્રેસિંગ તેના વ્યક્તિત્વને વધુ નીખાર આપે છે. તેણી લાગણીશીલ છે, તેની સાથે કરન છળ કરે છે, તે તેણી સહન કરી શકતી નથી. તેના હદયમાં આદિવાસીઓ અને તેમની પરંપરા પ્રત્યે અપાર પ્રેમ છે. 

           ફિલ્મમાં મૂળકથાનાં બીજા કેટલાક પાત્રો ગુપ્તાજી, શાસ્ત્રીજી, પુરિયા, બિત્તુબંગા, ટેમ્પુડીયો, ગંડુ ફકીર વગેરેએ સરસ કામ કર્યું છે, તો લ્યુસી, તુષાર, જીમી સહિતના કેટલાક પાત્રો ફિલ્મમાં સ્થાન પામ્યા નથી. શાસ્ત્રીજીના પાત્ર દ્વારા ધ્રુવ દાદાએ પોતાની વાત કહી હોય એવું નવલકથા વાંચીને લાગેલું અને ફિલ્મમાં પણ શાસ્ત્રીજીનું પાત્ર એકદમ પરિપક્વતાપૂર્ણ છે. ‘ધર્મમાં શ્રદ્ધા ન હોય તો ચાલે પણ શ્રદ્ધા હોવી જોઈએ.’ ‘લોકો પરિક્રમાવાસીઓની નહિ પરિક્રમાની પરંપરાની સેવા કરે છે.’ ‘આપણે ઈશ્વરના ભક્તો છીએ, ધર્મના નહિ’ જેવા કેટલાક વનલાઈનર્સ એમના પાત્રને ઉંચાઈ આપે છે, તો તબલા વગાડતા શાસ્ત્રીજી ધર્મને વિજ્ઞાન સાથે જોડી દેતા પણ દેખાય ! 

            ફિલ્મનું બીજું એક પાત્ર છે, પુરિયા! તે આશ્રમવાસી છે, તેને બાળકો ખુબ જ ગમે છે. તે ફિલ્મમાં કરનને મળતું આશ્રમનું પ્રથમ પાત્ર છે. ફિલ્મમાં તેની એન્ટ્રી એક ગીત સાથે થાય છે. ‘કાળો ભમ્મરિયાળો જામો, પહેરાવો કાળા કા’નને!’ આ ગીત કર્ણપ્રિય છે, ને માર્મિક પણ છે. ફિલ્મમાં પુરિયાને તેનો પતિ સંતાન ન આપી શકવાને કારણે ‘બાંઝ’ કહીને કાઢી મુકે છે ને એ જ પુરિયા બાળકૃષ્ણનું કીર્તન કરે !! એ જ પુરિયા પર તેના ભાઈના સંતાનને મારી નાખવાનું આળ આવે!! ધ્રુવદાદા ઉપરાંત ડાયરેક્ટરને પણ આ સિચ્યુએશન પાછળના સિમ્બોલીઝ્મ માટે ફૂલ માર્ક્સ આપવા પડે. (આ ગીત અંગેનું આ સુક્ષ્મ અવલોકન મારા શ્રીમતીજી તૃપ્તિ બુધ્ધદેવને આભારી છે.) 

         મૂળ કથામાં અને ફિલ્મમાં કેટલાક ફેરફાર પણ જોવા મળે છે. જેમ કે નર્મદા મૈયાની સાડી ઓઢાડવાનો સીન ફિલ્મમાં અદ્ભુત રીતે સમાવાયો છે. વાઘના હુમલાથી બિત્તુબંગામાંથી એકનાં મૃત્યુ બાદ તેની સાથે બદલો લેવાની ઘટના ફિલ્માં લેવામાં નથી આવી, તેને બદલે સંગીત દ્વારા ભાવ વિરેચન મુકાયું છે. રાણીની ગુફા વિશે પણ અલગ દૃષ્ટિકોણ મુક્યો છે, તો નાયકના માતા પિતા અંગેનો સબપ્લોટ ફિલ્મને વધુ કન્ક્લુસિવ બનાવે છે. 

        નર્મદાની પરિક્રમામાં કરવાનું નક્કી કરનાર નાયક સંશોધકમાંથી જીવન રહસ્ય શોધક બની રહે છે. સૃષ્ટિનું કોઈ ચાલકબળ છે, તે મનુષ્યની ભીતર રહેલો ઈશ્વર છે, ‘તે તું જ છે – તત્ત્વમસિ’ આ વિચાર ભારતીય સંસ્કૃતિના પાયામાં રહેલો છે. ફિલ્મમાં ધ્રુવ ભટ્ટનાં વિચારોનું ઉર્ધ્વીકરણ પણ દર્શાવ્યું છે. પોતાની સંપત્તિ મેળવવા આવેલો નાયક બધું ત્યાગી આશ્રમવાસી બની જાય છે અને તમામ સંપત્તિ આશ્રમને આપી દ્યે છે, તો ‘આ જીવનનું રહસ્ય જાણી લીધા પછી સમાજની વચ્ચે રહી કર્મો કરતા રહેવું જોઈએ’ એવો સંદેશ પણ ફિલ્મ આપણને આપી જાય છે. 

         ધ્રુવદાદાએ આ મૂળકથાનું નામ પહેલા ‘પ્રતિગચ્છતિ’ વિચારેલું. ‘ઈશ્વર એક જ છે, ભલે કોઈપણને ભજો’- એવા અર્થમાં હોવાથી મનુભાઈ પંચોળી ‘દર્શક’એ આ નામ મૂળ વિચારને ન્યાય નથી કરતું એમ કહ્યું અને પછી ધ્રુવ ભટ્ટના મિત્ર મહેન્દ્ર ચોટલીયા તથા અન્ય મિત્રોએ ભેગા થઇને નામ અપાયું ‘તત્ત્વમસિ’. 

            એક સમયે દેવદાસ ફિલ્મનાં લેખકે ‘સમુદ્રાન્તિકે’ પુસ્તક પરથી લખેલી ફિલ્મસ્ક્રિપ્ટ રીજેક્ટ કરનાર ઘ્રુવ ભટ્ટે પણ આ ફિલ્મના સર્જકોને ઘણી છૂટ આપી છે, જે સર્જકોની આ કામ કરવા પાછળની મહેનતનું સૂચક છે. 

            આમ, તત્ત્વમસિથી રેવા સુધીની યાત્રા ‘સ્વ’ની શોધયાત્રા બની રહે છે, પુસ્તક અને ફિલ્મ બંનેનાં અંતે આપણે નર્મદા મૈયાની પરિક્રમા કરી હોય એવું અનુભવી શકાય છે. મરાઠી કે બંગાળી ભાષામાં બનતી ફિલ્મોના વખાણ કરતા આપણે આપણી માતૃભાષાની અમર સાહિત્યકૃતિ પરથી બનેલી આ ફિલ્મને વધાવવી જોઈએ. ‘ગુજરાતી ફિલ્મ જગત પોતાના કલેવર બદલી રહ્યું છે’- આ ફિલ્મ ‘રેવા’ એનો તાજેતાજો પુરાવો છે. 

#ગમતો_શેર
મારામાં આરપાર સાત સાત દરિયા ને દરિયામાં આરપાર તું, 
પળમાં પળ ગુંથીને તું વારતા વણે ને એને જીવતરનું નામ દઉં હું! 
- ધ્રુવ ભટ્ટ

Sunday, 15 April 2018

#ગમતો_શેર : ૩

#ગમતો_શેર :
            આ-સ્વાદ :~) મનન બુધ્ધદેવ

કો’ક દિ’ એકાંતમાં ખપ લાગશે,
લાવ મારી યાદ વળગાડું તને.
                          - ખલીલ ધનતેજવી

પહાડી અવાજના માલિક ખલીલ ધનતેજવીની શાયરીમાં લાગણીઓ ભારોભાર ભરેલી હોય છે. પ્રિયજનની સ્મૃતિઓ જ પ્રિયજનને કાયમ પ્રિયજન રાખે છે. અંગત સાથેની સંગતની રંગતને યાદોથી અંકિત કરવાની હોય છે.

મનુષ્યને અંદરથી કોરી ખાનાર કોઈ હોય તો તે એકાંત છે. જીવનમાં રોજ કેટલીયે ઘટનાઓ બને છે એ બધી યાદો બની નથી જતી. કેટલીક જ યાદો હોય છે, જે કાળાંતર સુધી ટકતી હોય છે.

પ્રિયજનને યાદોને આપવાની નથી, વળગાડવાની છે, જેથી તે ક્યારેક વિસરાય જ નહીં ને સાચવી રાખેલ મૂડીની જેમ એકાંતમાં ખપ લાગે, કામમાં આવે!

છે ને પ્રિયજનના એકાંત વિશેની કવિની ચિંતા અને એનું અનોખું સમાધાન!


જીઓ..... શાયર!

#ગમતો_શેર : ૨

#ગમતો_શેર :
         આ-સ્વાદ :~) મનન બુધ્ધદેવ

આજ વરસાદ નથી એમ ના કહેવાય, રમેશ,
એમ કહીએ કે હશે, આપણે ભીના ન થયા.

                                              - રમેશ પારેખ

'છ અક્ષરનું નામ'વાળા રમેશ પારેખ જીવનની હકારાત્મકતાને શેરમાં ભેળવે છે. વરસાદ આવે ને માણસ બહારથી ભીંજાય પણ અંદરથી કોરો રહી જાય તો એમાં વરસાદનો શું વાંક!? આપણે આવરણોનો રેઇનકોટ કાઢીએ નહીં એમાં વરસાદ શું કરે!?

જિંદગી માણસને તરબતર કરવા તત્પર જ હોય છે, પણ આપણી ભીંજાવાની તૈયારી હોવી જોઈએ.

સંબંધોમાં ભીંજાવું કે ન ભીંજાવું એ આપણા હાથની વાત છે. કેટલાકને એકાદો વરસાદેય કાયમ ભીંજવેલા રાખે, તો કેટલાક ચોમાસે ચોમાસે કોરાં જ રહી જતાં હોય છે!

વરસાદ તો ભીંજવવા જ વરસતો હોય છે, ભીંજાવા માટે આપણું જીવંતપણું જરૂરી છે!

છે ને ભીંજવી નાખે એવી વાત...!


જીઓ.... શાયર!

Monday, 26 March 2018

હિચકી

आम टीचर पढ़ाता है, अच्छा टीचर समझाता है 

और बहुत अच्छा टीचर करके दिखाता है, 

लेकिन कोई खास टीचर आपकी प्रेरणा बन जाता है, जिसे आप पूरी जिंदगी नहीं भूल पाते।


આ શબ્દો છે, તાજેતરમાં જ રીલીઝ થયેલી ફિલ્મ હિચકીના........ 

ફિલ્મના પ્રોમોસ જોયા ત્યારથી જ નક્કી કર્યું કે આ ફિલ્મ તો જોવી જ છે. ફિલ્મના પોસ્ટર પર રહેલું રાની મુખર્જી ચોપરાનું કટ આઉટ અને તેની આસપાસ બોલપેનથી કરેલ કોતરકામ શાળાના દિવસોની યાદ અપાવી ગયું ને ખાત્રી પણ થઇ કે, આ આપડો ટેસ્ટ છે. 
(હિચકી - આ-સ્વાદ by મનન બુધ્ધદેવ, મોરબી, 98798 73873)

મુવી તો ઘણાં જોવાય છે, અને ઘણાં ગમેય છે, પણ કેટલાક મુવી જ લખાવે છે. આ હિચકી એ પૈકીનું છે. એટલે નહિ કે આ એજ્યુકેશન ફિલ્ડ પર છે. એના પર તો થોડા જ સમય પહેલા ‘નીલ બટ્ટે સન્નાટા’ કે ‘હિન્દી મીડિયમ’ પણ આવી ગયેલાં. પણ આ હિચકી યશરાજ ફિલ્મસે એજ્યુકેશન સીસ્ટમને ભરેલો ‘ચીંટીયો’ છે. 

જો તમે આ ફિલ્મ જોઈ લીધી છે, તો જરૂર વાંચજો એક શિક્ષક આ ફિલ્મને કેવી રીતે જુએ છે અને આ ફિલ્મ તમે જો ન જોઈ હોય તો વાંચીને જોવી જ પડશે! 

  • ફિલ્મમાં રાની શિક્ષકના રોલમાં છે. તેણીને કોઈ સ્કુલ નોકરી આપતી નથી, કારણ કે તેણીને ટુરેટ સિન્ડ્રોમ છે, એવી સ્થિતિ કે જેમાં ન્યુરોલીજીકલ ડીસઓર્ડરને લીધે વ્યક્તિ ‘ચક.. ચક.. ચક’, ‘વા...વા...વા...’ જેવા વિચિત્ર અવાજો કાઢે, એને સતત હિચકી આવ્યે રાખે. રાનીની આ વ્યથા કે ખામીને લીધે તેણીને ઘણું સહન કરવું પડ્યું છે. તેના પિતા પણ તેણીને આ ખામી સાથે સ્વીકારી શકતા નથી, રાનીનો ભાઈ અને તેની માતા તેને સાથ આપે છે. તેના પિતા ત્રણેયને છોડી અલગ રહેવા જતા રહે છે. 
  • M.Sc., B.Ed. થયેલી રાની શિક્ષક જ બનવાનું નક્કી કરી લે છે, તેણી પાર્ટ ટાઈમ એનિમેશન ડિઝાઈન પણ કરે છે, બેંકની જોબ સ્વીકારતી નથી અને શિક્ષક થવા પ્રત્યનો ચાલુ રાખે છે. 
  • હવે થાય છે એવું કે, St. Notkar’s સ્કુલમાં અડધા સત્રમાં શિક્ષકની જરૂર પડે છે. જરૂર એટલાં માટે પડે છે કે RIGHT TO EDUCATION અંતર્ગત શાળામાં શરુ કરાયેલાં 9F ક્લાસમાં કોઈ શિક્ષકને એ વર્ગના બાળકો ટકવા જ દેતાં નથી. અને સ્કુલ મેનેજમેન્ટ રાનીની આ ખામી હોવા છતાં તેણીને ચેલેન્જરૂપે આ કામ આપે છે. રાનીને જયારે ફોન પર નોકરી મળ્યાના સમાચાર આવે છે, તે ક્ષણ મને મારી વિદ્યાસહાયકની જોબ મળી એ ક્ષણ યાદ કરાવી ગઈ. 
  • રાનીને એ જ સ્કુલમાં નોકરી મળી જ્યાં તેણી ભણતી હતી અને એ જ શાળા કે જ્યાં તેણીને એકવાર પ્રિન્સીપાલ સર એ એસેમ્બલીમાં સ્ટેજ પર બોલાવીને તેણીનાં આવજો કરવાના કારણ વિશે પૂછ્યું અને બધાને તેના પ્રત્યે સારો વ્યવહાર કરવા આડકતરી રીતે સમજાવ્યા. જે શાળાએ રાનીને બાળપણમાં આત્મવિશ્વાસ આપ્યો તેનું ઋણ અદા કરવાનો અવસર તેણીને મળ્યો અને ૨૫ વર્ષ એ જ શાળામાં પ્રિન્સિપાલ તરીકે રીટાયર્ડ થાય છે. 
  • રાની એ એવા વર્ગને સાચવવાનો હતો જેણે છેલ્લાં છ માસમાં છ શિક્ષકોને નોકરી મુકાવી હતી. આ ક્લાસ એટલે ૧૪ વિદ્યાર્થીઓ જે અત્યંત ગરીબ વર્ગમાંથી આવે છે. તેઓને RIGHT TO EDUCATION અંતર્ગત સામાન્ય ક્લાસમાં જ બેસાડવાના હોય પણ શિક્ષકો કે બીજા વિદ્યાર્થીઓ તેમને સ્વીકારી નથી શક્યા અને સતત ઉપેક્ષાને લીધે આ વર્ગ શાળામાં તોફાનની હદ વટાવી નાખે છે. 
  • રાનીએ છેલ્લા પાંચ વર્ષથી શિક્ષક તરીકે જોબ મેળવવા પ્રયત્નો કર્યા હતા. ૧૮ શાળામાંથી શિક્ષક તરીકે રીજેક્ટ થયેલી રાની (નૈના માથુર) આ વર્ગને સાચવવા બધું જ કરી છૂટે છે. લાગણીઓથી જીતી લે છે, આ વર્ગને. ‘જે મળે તેની કિંમત કરતા શીખો’ શિક્ષકોને આ બોધપાઠ છે. 
  • રાનીનો આ વર્ગ સાથેનો પ્રથમ દિવસ..... રાનીનું વર્ગમાં પહેલું વાક્ય ‘ક્લાસ, એજ્યુકેશન ચાર દીવાર ઓર છઃ ઘંટોમેં સીમિત નહિ હૈ!’ – રાની પોતાનો ફોન નંબર દરેક બાળકને આપે છે. રાનીને હિચકી આવતા ક્લાસ તેની નકલ ઉતારે છે. ને સૌથી સારી નકલ ઉતારનારના રાની વખાણ કરે છે. વર્ગમાં એક વિદ્યાર્થી રાની પર રમુજી ગીત બનાવે છે, સૌના આશ્ચર્યની વચ્ચે રાની તેમાં જોડાય છે અને બધા વિદ્યાર્થી અવાચક!! રાની એક વાક્ય કહે છે, તમારીને મારી હિચકીમાં ફર્ક એટલો જ કે, તમે ધારો ત્યારે આ અવાજ કાઢી શકો અને બંધ કરી શકો પણ હું એ નથી કરી શકતી. 
  • આ ફિલ્મમાં બાળમનોવિજ્ઞાન દરેક ઘટનામાં છલકે છે. આખી સ્કૂલને આ વર્ગની જે ખામી લાગે છે, રાનીને એ જ તેની વિશેષતા લાગે છે. શિક્ષક તરીકે રાનીને અહી ફૂલ માર્ક્સ મળે. માત્ર પી.ટી.સી. કે બી.એડ.ની ડીગ્રી લઇ લેવાથી શિક્ષક નથી થઇ જવાતું..... સ્વભાવે શિક્ષક હોવું અગત્યનું છે. 
  • ‘યે હકલી કિતના દિન ટિક પાયેગી’ – આવી ચર્ચા વિદ્યાર્થીઓ વચ્ચે થાય છે. અરે સટ્ટો રમાય છે ને ખુદ રાની પણ પોતાના પર ૧૦૦ રૂપિયા લગાડે છે, કે હું તો ટકી જ જવાની.... જાણે કહેતી ન હોય.... પંખોસે કુછ નહિ હોતા હોંસલો સે ઉડાન હોતી હૈ!! 
  • વિદ્યાર્થીઓ રાનીને જોબ છોડાવવા મજબુર કરવા અનેક તોફાન કરે છે. ચોકમાં દીવાસળી રાખીને રાનીને ભડકાવી દ્યે, તુટેલી ખુરશી પર બેસાડી નીચે પાડે, ફોન નંબરને કોલ સેન્ટરનો નંબર જાહેર કરી પરેશાન કરે, વર્ગમાં ધુમાડો કરી બધા નાસી છૂટે, સ્કુટરમાંથી પેટ્રોલ કાઢી નાખે !! ( આપડેય બાળપણમાં એક બહુ જ ખીજાતા એક ‘સાહેબ’ના સ્કુટરની હવા કાઢી નાખેલી :-) 
  • એકવાર આ વિદ્યાર્થીઓ તોફાન કરી વર્ગની બારીના કાચ ફોડી નાખે છે અને પ્રિન્સીપાલને ફરિયાદ કરવાને બદલે રાની આ કાર્ય એણે પ્રયોગ કરતાં કરતાં ભૂલથી થઇ ગયું એવું કહી વિદ્યાર્થીઓનો પક્ષ લે છે. તેણી પૂરેપૂરું સમજે છે કે આ તોફાની વિદ્યાર્થીઓ પાસે સર્જનાત્મકતા છે, કૌશલ છે, માત્ર જરૂર છે તેને યોગ્ય દિશા આપવાની..... કેવી દૃષ્ટિ..... શિક્ષકત્વ આ જ છે..... ઘટનાને હકારાત્મક દૃષ્ટિકોણથી જોનાર રાની બાળકોના દિલ જીતી લે છે અને બધા નિષ્ફળ પ્રયત્નોને અંતે ક્લાસના બાળકો રાનીને સ્વીકારે છે.
  • આ ફિલ્મમાં એવું પણ ગૂઢ રીતે દર્શાવાયું છે, કે બાળક તો બાળક હોય છે. શિક્ષક દ્વારા થતો ગરીબ-અમીર, હોશિયાર-નબળાનો ભેદભાવ ખુબ ઘાતક હોય છે. શિક્ષક વચ્ચે થતાં ગજગ્રાહ પણ ફિલ્મનો એક ભાગ છે પણ રાનીનો તે અંગેનો અભિગમ ખુબ હૃદયસ્પર્શી છે. કોઈપણ પરિસ્થિતિમાં ઝઝૂમવાની રાનીની શક્તિ પર આપણને માન થઇ આવે. 
  • વાત કરીએ.... રાનીની ‘ટીચિંગ મેથડોલોજી’ની. રાની ઇનોવેટીવ ટીચર છે! ચીલાચાલુ પદ્ધતિથી વિદ્યાર્થીઓને ‘બોર’નથી કરતી. રમતના મેદાનમાં તો ક્યારેક લાઈબ્રેરીમાં તો ક્યારેક અગાસીમાં રાનીનો ક્લાસ શરુ થાય છે. રાની બાળકની આખમાં સપના વાવે છે! તેણી મોટીવેટર છે. પુસ્તકો વાંચે છે. ભરપુર જીવવાની વાતો કરવાને બદલે ભરપુર જીવી જાણે છે. 
  • National Curriculum Framework – NCF ની કેટલીક પાયાની બાબતો ડાયરેક્ટરએ દર્શાવી છે. વિષયો વચ્ચેની દીવાલ નીચી કરવી, શિક્ષણને શાળા બહારના જીવન સાથે જોડવું, જ્ઞાનનું સર્જન, સ્થાનિક સ્રોતોનો ઉપયોગ અને બીજું આવું તો ઘણું બધું રાનીના વર્ગવ્યવહારમાં આપણને દેખાય આવે. 
  • પેરેન્ટ્સ મિટીંગમાં કોઈ વાલી આવતા નથી ત્યારે તેમના ઘરે જાય છે. મા-બાપની આંખમાં રહેલાં સપનાઓ નજીકથી જુએ છે. પોતે જ પોતાની જાતને આ રીતે પ્રેરણા આપે છે. 
  • રાની કોઈકવાર બાળકોથી રિસાઈ પણ જાય છે. કોઈવાર નાળીયેર જેવી બહારથી કઠોર તો અંદરથી કોમળ. રાનીને પુરેપુરી ખબર છે, કે તેણે શિક્ષક તરીકે શું કરવાનું છે અને શું 'નથી' કરવાનું!! શિક્ષક તરીકે એ વિદ્યાર્થીની વ્યક્તિગત ભિન્નતા જાણે છે ને એને જ તેમની વિશેષતા સ્વરૂપે રૂપાંતરિત કરે છે. 
  • ‘શિક્ષકનું કામ વિદ્યાર્થીમાં આત્મવિશ્વાસ કેળવવાનું છે.’- આ માટે રાની એક કાગળમાં વિદ્યાર્થીઓને પોતાની નબળાઈઓ અને ડર લખાવે છે અને શાળાની અગાસી પર જઈને એજ નબળાઈ લખેલા કાગળનું વિમાન બનાવી તેને ઉડાડી દેવા કહે છે. – આ સીન આપણી આંખોના ખૂણા ભીના કરી નાખે એવો છે. 
  • વિદ્યાથીઓ જે પરિવેશમાંથી આવે છે, જે પરિસ્થિતિમાં તેઓ રહે છે તેઓનું તેને ગૌરવ છે. તેઓમાં તેના પ્રત્યે સુગ કે શરમ નથી. – ડાયરેક્ટરે આ બાબત ઈરાદાપૂર્વક દર્શાવી છે, તો ટીનેજરનો મનોસ્થિતિ પણ બેધડક રીતે ફિલ્માવાઈ છે. – આઈ.એમ.કલામ મુવીમાં રહેલો છોકરો અહી આતિશના રોલમાં છે. તેણે જ નહિ દરેક પાત્ર એ જીવ રેડીને કામ કર્યું છે. 
  • રાનીની મેં જોયેલી ફિલ્મોમાં આ હિચકીને હું ‘’શ્રેષ્ઠ એક્ટિંગ’નો એવોર્ડ આપું. નેશનલ એવોર્ડ પણ મળે તો નવાઈ પામવા જેવું નથી. રાની દરેક તબક્કે જયારે હિંચકી ખાઈ છે, શું અભિનય કર્યો છે. હાવભાવ, બોડી લેન્ગવેજ અને આંખોથી રાની એ દિલ જીતી લીધું!! 
  • ને એમાંય એક શિક્ષક કહે છે કે, ‘યે બચ્ચો કો સંભાલના આપકે બસકી બાત નહિ’, ત્યારે રાની જે હિચકી ચડે છે, રડે છે, ભાંગી પડે છે, પોતાની જ હથેળીને બટકા ભરે છે, પોતાના જ ગાલ પર ફડાકા મારે છે...... આપણને પણ રડાવી જાય છે. 
  • આ હિચકી આપણને આપણા શાળા સમયના પ્રિય શિક્ષકની યાદ કરાવી જાય છે. જે રીતે રાનીનું બોન્ડીંગ તેના વિદ્યાર્થીઓ સાથે થયું છે. કાબિલ-એ-દાદ...... 
  • કેટલાક સંવાદોમાં પણ આપણને શિક્ષણશાસ્ત્ર છલકાતું દેખાય : 
‘There are no bad students only bad teachers!’
(શીખવાની પ્રક્રિયા વિશે કહેવાય છેને કે, બચ્ચે સ્લો નહિ હોતે, ટીચર સ્લો હોતે હૈ.) 

“ I was born to be a teacher!”

“ટીચર બનકે કિતના કમા લોગી ?”
“પાપા, આપકા કોઈ ફેવરીટ ટીચર રહા હૈ સ્કુલમેં?” 
“જી, હાં અફકોર્સ રહા હૈ” 
“ઉનકી સેલેરી કિતની થી ક્યા યે માલુમ હૈ આપકો??” 
(છે ને જબરદસ્ત કટાક્ષ! – બાળકોના પ્રિય હોવાથી મોટી કોઈ ઉપલબ્ધિ જ નથી) 

  • થ્રી ચીયર્સ ફોર આદિત્ય ચોપરા ઓલ્સો..... આ મુવી માટે ડાયરેક્ટર સિદ્ધાર્થ પી. મલ્હોત્રાએ મેલ ટીચરને કેન્દ્રમાં રાખીને ફિલ્મ વિચારેલી પણ ફિમેલ કેરેક્ટરને લઈને આ મુવી બનાવવાનો આઈડિયા આદિત્યનો હતો અને ‘રાનીને આ મુવીથી વધારે સારું કમબેક કોઈ જ મુવી આપી ન શકત.’-એવું કહેવું જરાય અતિશયોક્તિ નથી. 
  • રાની જયારે ફિલ્મમાં રીટાયર્ડ થાય છે, ત્યારે તેને બધા વિદ્યાર્થીઓ વિદાય આપે છે. શાળાના છેલ્લા દિવસે રાની વોકિંગ સ્ટીકથી ચાલે છે. આ સીનમાં રાનીએ આંખોથી ઘણું બધું કહ્યું છે. એક વાક્ય આવે છે, 'કુછ હિચકીયાં સુનાઈ નહિ દેતી!’ – જી હા, કેટલુક એવું હોય છે, વર્ણવી શકાતું નથી..... શિક્ષકને મન એથી મોટી ક્ષણ કઈ હોય કે એના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેને વિદાય આપવા આવે...... જો તમે શિક્ષક છો અને આ સીનમાં રડી ના પડો તો રાજીનામું આપી દેવું ! 

(ક્લાઈમેક્સ સીન જોઇને તરત જ યાદ આવેલો)
ગમતો_શેર :: 
आसमानों की तरफ फेर दिया है मैंने 
चंद मिट्टी के चरागों को सितारा करके 
-ડૉ.રાહત ઇન્દૌરી

(મુવી તથા લેખ વિશેનો આપનો અભિપ્રાય કમેન્ટમાં જણાવશો.)

યે ઝીંદગી યાદો કી ગુલ્લક સી......

            જિંદગી એટલે પળેપળમાં જીવાતી યાદોની ખુશ્બુભરી સ્મૃતિ..... જીવાયેલું જીવન હંમેશા મીઠી યાદોમાં સમાયેલું રહે છે..... કોઈ ગુલ્લક જે...